કાળઝાળ ગરમીને વરિયાળીથી નાથો.... by Kanti Bhatt

ગરમીને ધિક્કારો નહીં, તમારા શરીરને અંદરથીઅને બહારથી સૂરજની તપતી ગરમીને લાયક બનાવો

 

ગામડામાં દરેક ઋતુની રાહ જોવાતી. દિવાળી પછી બાજરાના કે ઘઉના પોંકની રાહ જોવાતી. શિયાળામાં વસાણાપાક અને ઊધિયાની રાહ જોવાતી. આજે તો ઉનાળો બેસે એટલે શહેરના લોકો હાય-વોય કરીને ગરમીને ધિક્કારે છે. ગામડાનાં લોક ચૈતર-વૈશાખને વધાવે છે. આ વિહરવાની-વિહાર કરવાની ઋતુઓ છે. ગામતરાં કરવાની સઝિન છે. ઉમાશંકર જોષીએ ‘ગ્રીષ્મગીતા’ નામનું લાંબુ કાવ્ય લખ્યું હતું. તેમાં તેણે ‘જટાજટ વિખેરતો, જોગી ઉનાળો આવિયો, નાખ્યા અડિંગા લીમડા નીચે... રાયણ ગળે, મહુડા ફળે આંબા લળી લળી જાય છે... નદી તીરે કરમદીનાં ઝુંડ ઝોલા ખાયરે...’ એમ કહીને કુદરતી ફળોની રસલ્હાણ લેવાનું ઇજન જાણે આ જટાળો જોગી ઉનાળો આપતો. બાલમુકુન્દ દવેએ તો કવિ ઉમાશંકર કરતાંય વધુ રોમેન્ટિક કાવ્ય એક ગામડાની ગોરીને મોઢે ગવડાવ્યું છે. 

fennel seed
Fennel Seeds
આવ્યો ઉનાળો ને આવી જો ચૈતરી, અલ્યા કોદાળી પડતી મેલ ઓ મારા છેલ, ડાકોરજી જઈએ ને ગોમતીજી નંઈએ, ચાણોદ જઈએ ને રેવાજી જઈએ..., રાંધુ ના રાંધણું ને ઢાળુના ઢોલિયો!’ કમાલ કરી છે કવિએ. ગામડાની ગોરીને ચૈત્ર-વૈશાખમાં વિહાર કરવાની મન થતું અને રીસણાં લઈને તેના પ્રિયતમ પાસે ધરાસર યાત્રા કરાવતી. પ્રિયતમ આજની જેવા ૨૧મી સદીના કેરિયર કેરિયર કેરિયર અને પૈસા પૈસા પૈસા પાછળ પાગલ નહોતા. રીસાયેલી ગોરીને પછી મનાવાતી : ‘અલી પહેરી લે પગમાં ચમચમ જોડા, ઓઢી લે ઓઢણું લાલપીળું લેરિયું, ખોસી લે કાનમાં ચાર ચાર ફૂલડાં’ આમ ઉનાળાના તાપને કાવ્ય થકી વધાવાય તો પણ આજે સૂરજને શહેરીજનો વગોવે છે. હેન્રી બેસ્ટન નામના પ્રકતિના કવિએ કહેલું કે ‘સૂર્ય એ માનવ જીવનનો સૌથી જોવા જેવો કુદરતી ડ્રામા છે. એ સૂરજ ડ્રામા કરે છે તેથી જ જીવીએ છીએ. એટલે સૂરજ તપે ત્યારે તેને વધાવો. સૂરજની ગરમીને લાયક શરીરને અંદર- બહારથી બનાવો. આજનું રોજિંદું જીવન, મનોરંજન કે ખાનપાન કશી જ મોસમની ખેવના રાખતું નથી. જયારે ચૈત્ર-ગ્રીષ્મમાં માનવીએ વિહાર કરીને સ્વમાંથી અને કુદરતમાંથી આનંદ લૂંટવાનો હોય છે ત્યારે ધોમધખતા તાપમાં ત્રણ ત્રણ ચાર ચાર કલાક સ્ટેડિયમોમાં બિનમોસમી ક્રિકેટનું મનોરંજન અને સતત કોલાનાં પીણાંની જાહેરાતો સાથે પનારા પાડવાના હોય છે. તમારું મનોરંજન તમારા હાથમાં નથી. સ્ટેડિયમના છગ્ગાઓમાં છે.  

વડાપાંઉ કે મેકડોનાલ્ડઝના વાસી ગંધારા જંકફૂડ ખાવાની આ મોસમ નથી. તમે તકમરિયાં નામ સાંભળ્યું છે? વરિયાળીને તો જાણો છો પણ વરિયાળીને જે રીતે વાપરવી જોઈએ તે રીતે વાપરતા નથી. ઉનાળામાં અમને રાત્રે તકમરિયાં પલાળીને સવારે સાકર સાથે ખાવા મળતા. કાળી દ્રાક્ષ રાત્રે પલાળીને સવારે ખાતા. તેનાથી કોઠો ઠંડો થાય. મગજ ઠંડું થાય. પેટની ખોટી ગરમી ચાલી જતી. ઉનાળો મીઠો લાગે. ઉનાળાની રાહ ખાસ તો એટલે જોવાતી કે બપોરે ઠંડક માટે વરિયાળી-ખસખસનું શરબત ઘરે બનાવીને પીવા મળતું.ગામના મંદિરે વરિયાળીનું શરબત બનતું. ચોરામાં ગામનો ડાયરો ભરાય ત્યાં વરિયાળીનું શરબત બનતું. વરરાજાની જાન ગાડામાં કે ટ્રેનમાં જાય અને કન્યાના ગામના ઝાંપે વડલા નીચે વરરાજાની જાન પોરો ખાય ત્યારે એ વેવાઈઓનું સ્વાગત વરિયાળીના શરબતથી થતું. દેવતાઓ વરિયાળીનો ઉપયોગ કમિ-આસવ માટે કરતા. એ આસવ ઠંડકનો નશો આપતું  

અંગ્રેજીમાં ફેનેલ સીડઝ, હિન્દી-ઉદૂર્માં સૌંફ, અરબીમાં રાઝયાનઝ, તમિળમાં શોમ્બુ અને ગુજરાતીમાં વરિયાળી કહેવાય છે પણ બંગાળીમાં પાનમૌરી કહેવાતી. પાનમાં સુપારીને બદલે માત્ર વરિયાળી નખાતી. ગ્રીક ભાષામાં વરિયાળીને મેરેથોન કહે છે. બરાબર (હા બરાબર) ૨૫૦૦ વર્ષ પહેલાં મેરેથોનની લડાઈ લડાતી. યોદ્ધાઓ ઘાયલ થાય તેને વરિયાળીનું શરબત પ્રથમ અપાતું. પ્રોમિથિયસ નામનો ગ્રીક દંતકથાનો યોદ્ધો અગ્નિનો દેવતા મનાઈ ગયો. બ્રહ્માંડના દેવો પાસેથી તે હાથમાં વરિયાળીનો છોડ લઈને સૂર્યની ગરમી ચોરી લાવેલો. તાત્પર્ય કે વરિયાળી થકી સૂરજની ગરમીને ભેદી શકાય છે.

ઈસુ ખ્રિસ્ત જન્મ્યા નહોતા તે પહેલાં ભારતવર્ષના મુનિઓ, રોમનો અને ગ્રીક લોકો વરિયાળીનાં ઔષધીય ગુણો જાણતા હતા. આજે અનેક આડઅસર કરનારી દવાઓ કિડની, હૃદય કે લીવરના રોગ માટે લેવાય છે તેની આડઅસરને મોળી પાડવા વરિયાળીનું શરબત પીવું જોઈએ કે તેને ખારી કર્યા વગર અને વરિયાળીના ગુણની પત્તર ખાંડવાને બદલે સીધી લીલી વરિયાળી ખાવી જોઈએ. સ્ત્રીઓના અનિયમિત માસકિ માટે વરિયાળીનું શરબત અપાતું. મોઢાની દુર્ગંધ એ આજે ટ્રેનમાં, બસમાં, બેડરૂમમાં મોંઢાની વાસ પ્રોબ્લેમ બને છે. શાહરુખ અને બીજાએ હાનિકારક સુગંધવાળા દ્રવ્યો ખાવાને બદલે વરિયાળીની ફાકી મારવી જોઈએ. ઉનાળામાં પુરુષનાં મોંઢા વધુ ગંધાય છે. એ મોઢા ન ગંધાય તે માટે ઉનાળામાં બ્રેડ, બટર, તળેલી, ભૂંજેલી ચીજો ન ખાવી જોઈએ. લંડનના ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ નામના આર્થિક અખબારે ૨-૨-૨૦૦૨ના અંકમાં મોંની દુર્ગધ અંગે ખાસ લેખ લખીને તેમાં માત્ર વરિયાળી ખાવાની જ નહીં પણ રાત્રે ડીનરને બદલે ફ્રૂટ ખાવાની હિમાયત કરી હતી. રસાયણ અને કેમિકલ સુગંધવાળા રયુઇંગ ગમ ખાઈને સલમાન ખાન કે શાહરુખ મોઢાની સિગારેટની દુર્ગંધ મટાડે છે પણ અંદરથી નુકસાન કરે છે. મુખવાસ તરીકે ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ના કહેવા પ્રમાણે બ્રાઝિલના લોકો તજ ખાતા, થાઇલેન્ડના લોકો જમરુખ ખાતા પણ એશિયાભરમાં વરિયાળી જ ખવાતી. ઇટાલિયન લોકો ખરા આયુર્વેદપ્રેમી છે. જમ્યા પછી અજમો ખાય છે. અજમો રોજ ખાવાની ચીજ નથી. માત્ર રવિવારે-ગુરુવારે રાત્રે જમ્યા પછી લેવાય. આજે ઘણી ગર્ભવતી સ્ત્રીને ભૂખ લાગતી નથી. તેના જઠરાગ્નિને પ્રદીપ્ત કરવા વૈધો અજમો ખાવાનું કહે છે. વરિયાળીનાં પાંદડાનો રસ મુસ્લિમો આંખમાં સુરમો આંજે છે તેમાં વપરાય છે. સ્વિત્ઝર્લેન્ડ અને ફ્રાંસમાં પુરુષને તાન ચઢાવવા અને ૧૯મી સદીમાં નપુંસકતા માટે ફળ ઉપર માણસ રહીને વરિયાળીનો રસ પીતો.   

આંખના તેજ માટે વરિયાળી બહુ સારી છે. રાત્રે પલાળેલી વરિયાળીનું પાણી સવારે પી જવું. પુરાણા રોમમાં તો વરિયાળીને ‘હર્બ ઓફ સાઇટ’ કહેવાતી. વરિયાળીના છોડના મૂળિયાંને આખનાં ટોનિક માટે વપરાતાં. વરિયાળીને કુદરતી સ્વરૂપમાં ખાવાથી કે તેનું શરબત ઉનાળામાં પીનારાને મોતિયો આવતો નથી. મારા નાના ભાઈઓએ મોતિયા ઉતરાવ્યા છે. હું નિયમિત વરિયાળીનું સેવન કરું છું. ૭૯ની વયે મોતિયો આવ્યો નથી. થંેકસ ટુ વરિયાળી અને કાળી દ્રાક્ષ. હાઈપર ટેન્શન મટાડવા ફ્રેંચ સાહિત્યકારો ૧૯મી સદીમાં વરિયાળીનું શરબત પીતા.  

તાજી સુવાવડી માતાને વરિયાળી પલાળીને સવારે સાકર સાથે પાણી પાવાથી સ્તનમાં વધુ દૂધ આવે છે. ભારત અને સિરીયામાં વધુમાં વધુ વરિયાળી પાકે છે પણ મોટા ભાગે દારૂ, આસવ અને બીજી દવામાં વધુ વપરાય છે. વડોદરામાં ભણતા ત્યારે ડાંડિયા બજારની લોજમાં જમ્યા પછી વરિયાળી ખાવા મળતી. સાપ તેની કાંચળી જલદી ઊતરે તે માટે વરિયાળીના છોડ શોધે છે. ઘણા હકીમો કહે છે કે બુદ્ધિ વધારવા અને શરીરમાં તાકત લાવવા વિટામિન ‘સી’ અને વિટામિન બી-૩ના ગુણ ધરાવતી વરિયાળીનું શરબત પીવું જોઈએ.

 
Powered By MyCitySurat.com